રાજકોટ તાલુકાના વિજયનગરમાં છેલ્લા કેટલાક સમયથી પાંચ એકર સરકારી ખરાબાની જગ્યામાં વાણિજ્યિક હેતુનું ગેરકાયદે દબાણ થઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના આદેશના પગલે તાલુકા મામલતદારની ટીમે બુધવારે સાંજે દબાણ હટાવવા ઓપરેશન હાથ ધર્યું હતું અને પોણા બે ડઝન જેટલા દબાણ દૂર કરી રૂ.10 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ-મોરબી હાઇવે પર સરવે નં.116ની જગ્યામાં છેલ્લા 10થી 15 વર્ષથી અલગ-અલગ કોમર્સિયલ દબાણો ખડકાયા હતા જેમાં સોફા બનાવવાનું કારખાનું, સિમેન્ટ બનાવવાનું કારખાનું અને તેના સ્ટાફની ઓરડીઓ, 10 જેટલી દુકાન કે જેમાં ચાની હોટેલો, રેસ્ટોરન્ટ, હેર આર્ટ શોપ સહિતના દબાણો હતા. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું અને અંદાજે રૂ.10 કરોડની 5 એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.