બુધવારે વિશ્વ શૌચાલય દિવસ હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુઘડ અને સ્વચ્છતાના રેન્કિંગમાં નંબર વન બનાવવા કવાયત ચાલી રહી છે.
તેના ભાગરૂપે લોકો જાહેરમાં શૌચક્રિયા ન કરે તે માટે ટ્રાફિકથી ધમધમતા ચાર મુખ્ય ચોકમાં એસ્પિરેશન ટોઇલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ગોંડલ રોડ ચોકડી, રામાપીર ચોકડી, નાનામવા ચોક, જડ્ડુસ બ્રિજનો સમાવેશ થાય છે.
આ ચાર જાહેર શૌચાલયને કારણે જાહેર માર્ગો પરથી પસાર થતા 3 લાખથી વધુ લોકોને સુવિધા ઉપલબ્ધ થશે અને તેનો લાભ હજારો લોકો દરરોજ લઇ શકશે.
મનપાના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર આજે વર્લ્ડ ટોઇલેટ ડે હોવાથી સમગ્ર રાજ્યમાં લોકોને વધુમાં વધુ જાહેર શૌચાલયની સુવિધા મળી રહે તે માટે આયોજન કરવા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સૂચના આપવામાં આવી હતી.
જેમાં સૌથી વધુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 કરોડના ખર્ચે ચાર જાહેર શૌચાલય બનાવી તેના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે.
આ જાહેર શૌચાલયમાં 10 સીટની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
મહાનગરપાલિકાએ આ ચારેય સ્થળે એસ્પિરેશન ટોઇલેટ એટલે કે સક્શન આધારિત ટોઇલેટ એટલે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ બનાવવામાં આવતા ટોઇલેટ જેવી ઓછું પાણી વપરાય અથવા ઘણીવાર પાણીની જરૂર ન પડે તે પ્રકારના ટોઇલેટ બનાવ્યા છે.