મોરબી રોડ ઉપર ગાંધી વસાહતમાં રહેતા રામાભાઈ ઉર્ફે રમેશભાઈ બટુકભાઈ જાદવ (ઉં.વ.42) ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રામાભાઈ ઉર્ફે રમેશભાઈ છુટક મજૂરી કામ કરતા હતા તેમને સંતાનમાં 4 દીકરીઓ છે. પોતે 3 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ બિમાર રહેતા હતા અને બિમારીની ચિંતામાં આ પગલું ભર્યાનું અનુમાન છે. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમા રાજકોટમાં એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા (ઉ.વ.34) અને તેમના પતિને પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા, તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને તેમનો દીકરો કિશન કાંતિભાઇ સમેચાએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો જેમાં તારાબેનનો હાથ ભાંગી ગયો હતો હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ તેના કાકા કાંતિભાઈના હાથમાં પાઇપ હતો જેનાથી ડાબા હાથના ભાગે એક પાઇપ માર્યો હતો અને તેમના પત્નિ હંસાબેને ઢીકા-પાટુનો માર માર્યો હતો જેથી મે જોરથી બચાવો બચાવો ની બુમો પાડતા મારા પતિ ઘરમાંથી જાગીને બહાર આવતા તેઓ મને બચાવવા વચ્ચમાં પડતા કિશને મારા પતિને ડાબા હાથના ભાગે ધોકો મારી દીધો હતો. બાદમાં કાકા કાંતિભાઈએ પતિને ડાબા પગના ભાગે લોખંડના પાઇપથી માર માર્યો હતો જેમાં મારા પતિને ડાબા હાથના ભાગે તેમજ પગના ભાગે મુંઢ ઇજાઓ પહોંચી છે.