રાજકોટની SNK સ્કૂલમાં રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવતા ABVPના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન સ્કૂલના સંચાલકને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ધક્કે ચડાવ્યા હતા તો વિરોધના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. દિવાળી વેકેશન અને સરદાર પટેલની જન્મજયંતિ હોવા છતા શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની ફરિયાદ મળતા કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આજે 31મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલની જન્મ જયંતી છે અને દિવાળી વેકેશન હજુ ચાલી રહ્યું છે તેમછતાં પણ શહેરની નામાંકિત SNK સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની ફરિયાદ મળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા. જે દરમિયાન પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતા સ્કૂલ સંચાલક કિરણ પટેલને કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા અને ABVP જિંદાબાદના નારા લગાવ્યા હતા.