રાજકોટમાં પરિણીતાઓ પર થતાં અત્યાચારના બે કિસ્સાઓ સામે આવ્યા છે. બંને ઘટનાઓમાં પતિ અને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બંને કિસ્સાઓમાં ભોગ બનેલી મહિલાઓએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એક કિસ્સામાં પતિએ પત્નીને તેના ભાઈના ઘરે મૂકી આવ્યા બાદ તે કોઈની સાથે ભાગી ગઈ હોવાની ખોટી અરજી કરી હતી. જ્યારે બીજા કિસ્સામાં, પરિણીતાને સમાધાન માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી અને ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારવામાં આવ્યા હતા.
ધોરાજીના તોરણીયા ગામની ભાવિષાબેન અંકિતભાઈ ખીચડીયાએ તેના પતિ અંકિત રણછોડ ખીચડીયા, સસરા રણછોડભાઈ, નાના નણંદ સારીકાબેન ગજેરા, મોટા નણંદ ઉર્મિલાબેન વરુણભાઈ રૈયાણી અને નણંદોયા વરુણ રૈયાણી સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે.
મેરેજ સાઇટ પરથી પરિચય અને લગ્નભાવિષાબેન અને અંકિતનો પરિચય મેટ્રોમની એપ મારફત થયો હતો. આ ભાવિષાબેનના બીજા લગ્ન હતા, જ્યારે અંકિતના પહેલા લગ્ન હતા. લગ્નના સમયે, અંકિતે પોતાના પરિવાર વિશે ઘણી બાબતો છુપાવી હતી. તેણે પોતાનો મોટો ભાઈ સગપણની વાત કરવા આવશે તેમ કહ્યું હતું, પરંતુ ભાવિષાબેનના ભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું કે તે વ્યક્તિ અંકિતનો ભાઈ નહોતો, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ હતી. એટલું જ નહીં, અંકિતે તેની 5 બહેનો હોવા છતાં, માત્ર 1 જ બહેન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ વાતની જાણ ભાવિષાબેનને થઈ અને તેમણે પતિને પૂછ્યું ત્યારે અંકિતે જણાવ્યું કે છ બહેનો હોવાથી તેના લગ્ન થતા નહોતા, તેથી તેણે ખોટું બોલવું પડ્યું હતું.
લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસલગ્નના થોડા દિવસ બાદ, ભાવિષાબેન પર સાસરિયાનો ત્રાસ શરૂ થયો. સાસુ સારી રીતે રાખતા, પરંતુ સસરા ‘તમને અહીં આરામ કરવા નથી લાવ્યા, ઘરનું કામ કરો, ચા બનાવી આપો’ કહી ઝઘડો કરતા. પતિ પણ તેમને સગા-સંબંધીઓને ત્યાં જવાની મનાઈ કરતા અને ખેતીકામ કરવા સાથે લઈ જતા. મોટા નણંદ ઉર્મિલાબેન અને તેમના પતિ વરુણ પણ ઘરે આવીને ભાવિષાબેન સાથે ઝઘડો કરતા અને કહેતા કે ‘તારા પિતાના ઘરના રિવાજ પ્રમાણે નથી રહેવાનું, તારે સાડી નથી પહેરવાની. માત્ર પેન્ટ-ટીશર્ટ જ પહેરવાના છે.’ એક વાર, નણંદોયા વરુણે ભાવિષાબેનને ફડાકો પણ માર્યો હતો.