ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાયના 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં હાલ ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, જોકે હાથિયો નક્ષત્રનો વરસાદ નવરાત્રિના ખેલૈયાઓનો અને આયોજકોની મજા બગાડી શકે છે.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, ખાસ કરીને નવરાત્રિ દરમિયાન. આગામી 72 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણ બદલાશે અને 22 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. જોકે સૌથી મોટી આગાહી 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરના સમયગાળા માટે કરવામાં આવી છે, જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર, સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વરસાદ “આફતરૂપ” સાબિત થઈ શકે છે, જ્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ ખેલૈયાઓએ વરસાદ સાથે ગરબા ગાવા પડી શકે છે