નવલખી રોડના ખાડાઓથી 25 ગામના લોકો ત્રસ્ત

મોરબીના નવલખી રોડ પર આવેલા 25થી વધુ ગામના લોકોએ રસ્તાની દયનીય સ્થિતિના વિરોધમાં ચક્કાજામ કર્યો છે. સ્થાનિક સરપંચોની આગેવાનીમાં રવિવારે સાંજે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં તંત્રને 48 કલાકમાં રોડ રિપેર કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

નવલખી રોડ પર ખાખરાળા, જેપુર, બરવાળા, લુંટાવદર, નારણકા અને પીપળીયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ માર્ગ પર ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેપુર ગામના ઉપસરપંચ હર્ષદભાઈ કાવઠીયાના જણાવ્યા મુજબ, આ રસ્તા પર 24 કલાક ઓવરલોડ ટ્રક અને ડમ્પરની અવરજવર રહે છે.

રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે. આના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. નારણકાના રહેવાસી જયંતીલાલ દાવાએ જણાવ્યું કે તેઓ રોજ હેલ્મેટ પહેરીને મોરબી અપડાઉન કરે છે, પરંતુ ખાડાઓને કારણે અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *