રાજકોટશહેરના નિર્મળા કોન્વેન્ટ રોડ પરની સરસ્વતી સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ દયાળજીભાઇ માણેેકે (ઉ.વ.70) એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નેહાબેન રજનીકાંત ગાંધેશાનું નામ આપ્યું હતું.
ઘનશ્યામભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કડિયા નવલાઇનમાં દોમડિયાના ડેલા તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં દુકાન નં.3 પર કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ નામની કંપનીની જાહેર નોટિસ લગાવાઇ હતી. આ મિલકત પર લોનના ચડત હપ્તા હોવાથી કોઇએ વ્યવહાર કરવો નહીં.
ઘનશ્યામભાઇને આ દુકાન ખરીદવાની ઇચ્છા થતાં તેમણે નોટિસમાં દર્શાવેલા ફોન પર સંપર્ક કર્યો હતો અને દુકાન ખરીદવાની વાત કરી હતી.
મેનેજરે દુકાન માલિક નેહાબેન રજનીકાંત ગાંધેશા હોવાનું કહેતા ઘનશ્યામભાઇ દુકાન માલિકને મળી નેહાબેને હાલમાં પોતે દુકાન પરના ચડત હપ્તા ભરપાઇ કરી શકે તેમ નથી તેવું કહ્યું હતું અને ઘનશ્યામભાઇ હપ્તા ભરે તો તે હપ્તા તથા ઉપરની રકમ કેટલી આપવાનું તે નિશ્ચિત થયું હતું.
ઘનશ્યામભાઇએ દુકાન ખરીદવા માટે ચડત હપ્તા પેટે રૂ.7.94 લાખ આરટીજીએસથી ભરી દીધા હતા જેની સામે નેહાબેને મિલકતનું સાટાખત કરી આપ્યું હતું, ત્યારબાદના વધારાના રૂ.89,88,794 ચાર કટકે ઘનશ્યામભાઇએ નેહાબેનને ચૂકવી દીધા હતા.
કુલ રૂ.1,05,88,794 ચૂકવીને ઘનશ્યામભાઇએ રજિસ્ટ્રાર કચેરીમાંથી 16 એપ્રિલની દસ્તાવેજની તારીખ લઇ દસ્તાવેજનું નક્કી થયું હતું તે દિવસે નેહાબેને ફોન કરીને કહ્યું હતું કે, મારી દીકરીની તબિયત ખરાબ છે બે-ચાર દિવસ પછી દસ્તાવેજ કરાવશું, જે બાદ ઘનશ્યામભાઇએ ફરી સંપર્ક કર્યો તો નેહાબેને થોડા દિવસ બાદ દસ્તાવેજ કરશું કહી બહાના કાઢી અંતે દસ્તાવેજ નહીં કરી આપી ઠગાઇ કરી હતી.