રાવી નદીમાં પૂરને કારણે પંજાબના ગુરદાસપુરમાં સ્કૂલમાં 400 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા છે. પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાણીમાં ડૂબી ગયા છે.
ડેમમાંથી પાણી છોડવાને કારણે બુધવારે પઠાણકોટ, ગુરદાસપુર, તરનતારન, હોશિયારપુર, કપૂરથલા, ફિરોઝપુર અને ફાઝિલ્કામાં પાણી ભરાઈ ગયા હતા. આ જિલ્લાઓના 150થી વધુ ગામડાઓમાં પાણી ભરાયા છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે NDRF અને સેનાની ટીમો મોકલવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે, તમામ શાળાઓને 30 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમજ, રાવી નદીમાં આવેલા પૂરને કારણે, કરતારપુર સાહિબ કોરિડોરમાં પણ 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. જેના કારણે પાકિસ્તાનમાં શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારા પણ ડૂબી ગયું છે.
પંજાબમાં સતત વરસાદને કારણે 7 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. બુધવારે, સેનાએ રાજ્યના માધોપુર હેડવર્ક્સ ખાતે પૂરના પાણીમાં ઘેરાયેલી એક જર્જરિત ઇમારતમાંથી 22 CRPF જવાનો અને 3 નાગરિકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કર્યા હતા.રેસ્ક્યૂ માટે, સેનાનું હેલિકોપ્ટર જર્જરિત ઇમારતની છત પર ઉતર્યું હતું.