ટ્રુડોનો આરોપ- ભારતે શીખ નેતાની હત્યા કરાવી!

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર એક શીખ નેતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય સરકારી એજન્ટોએ જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી.

ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં યોજાયેલી જી-20 બેઠક દરમિયાન તેમણે આ મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડા સરકાર દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે તેઓ આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે.

તે જ સમયે કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ માહિતી આપી હતી કે કેનેડાની સરકારે એક ભારતીય રાજદ્વારીને દેશનિકાલ કર્યા છે, જે કેનેડામાં ભારતીય ગુપ્તચર વિભાગના વડા હતા. જો કે જોલીએ આ રાજદ્વારી વિશે કોઈ માહિતી આપી નથી.

ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે તેઓ આ હત્યાની તપાસમાં સહયોગ આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવશે.

વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાથી નારાજ છે. ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરમાં છે. દેશમાં ભારતીય મૂળના 14 થી 18 લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખ છે. કેનેડાની વિપક્ષી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ શીખ સમુદાયમાંથી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *