તાજેતરમાં અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં નજીવી બાબતે શાળામાં શિક્ષક પરના છરી વડે હુમલાની ઘટનાએ સમગ્ર શિક્ષણક્ષેત્રમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરી છે. આ દુઃખદ અને નીંદનીય ઘટના માત્ર એક વ્યક્તિના ક્રિમિનલ વર્તનને કારણે સમગ્ર શિક્ષણ જગત માટે ચિંતાનું કારણ બની છે. આ ગંભીર ઘટનાને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અને મહામંડળ ગુજરાત દ્વારા સખત શબ્દોમાં વખોડી છે. શિક્ષકોની સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવા અને શાળાઓમાં પ્રવેશ માટે ગાઈડલાઈન બનાવવા સહિતના જુદા જુદા મુદ્દે બુધવારે શાળા સંચાલક મંડળે ડીઈઓને લેખિત રજૂઆત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, શાળામાં બનતી આવી ઘટનાઓ બાળકો જુએ છે અને તેમના બાળમાનસ ઉપર ખરાબ અસર થાય છે.
આ ઘટનાના અનુસંધાનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો, શાળાના સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા બુધવારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં કેટલીક માગણીઓ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, શાળાઓના પ્રવેશદ્વાર અને પરિસરમાં સુરક્ષાકર્મીઓ અને CCTV દ્વારા નિગરાની રાખી અસામાજિક અને ક્રિમિનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને પગલાંની SOP બહાર પાડવામાં આવે. હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલાં લેવામાં આવે.
શિક્ષકો માટે મનોસામાજિક સલાહકાર કે કાનૂની માર્ગદર્શન માટે જિલ્લા સ્તરે તાત્કાલિક સુવિધા ઊભી કરાવવામાં આવે અને તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક રાજકીય સંગઠનો માટે ગાઈડલાઈન અને કાનૂની નિયમો દ્વારા શિસ્ત, માનવતા અને યોગ્ય વ્યવહાર અંગે વ્યવસ્થાપન અંગે તાલીમાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે.