ભારતમાં મોટા ભાગે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદની શરૂઆત થઇ જાય છે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જૂને આદ્રા નક્ષત્ર બેસવાની સાથે ચોમાસાની શરૂઆત થાય છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, પંચાંગ પ્રમાણે આ વર્ષે સંવત્સરનો સ્વામી શનિ ગ્રહ છે. રોગચાળો વધે વરસાદ મધ્યમ રહે, ખાસ કરીને નીલ નામનો મેઘ છે આથી ક્યાંક વધારે પડતો અને ક્યાંક ઓછો વરસાદ થાય. આ ઉપરાંત વિક્રમ સંવંત 2081ના વરસાદનું ભવિષ્ય 14 આની એટલે કે 80થી 100 ટકા વચ્ચે રહેવાની આશા છે.
તા.8થી 21 જૂન સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં છે અને વાહન શિયાળ છે એટલે છૂટોછવાયો વરસાદ થાય, બફારો વધે. તા.22 જૂનથી 5 જુલાઈ સુધી સૂર્ય આદ્રા નક્ષત્રમાં છે. વાહન ઉંદર છે એટલે સામાન્ય વરસાદ થાય, પવનનું જોર રહે. તા.6થી 19 જુલાઈ સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં છે, વાહન અશ્વ છે એટલે વરસાદ સામાન્ય રહે અને બફારો વધે. તા.20 જુલાઈથી 2 ઓગસ્ટ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં હોવાથી વરસાદ સારો થાય. તા.3થી 16 ઓગસ્ટ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રમાં વરસાદ પડે અને ન પણ આવે. તા.17થી 30 ઓગસ્ટ દરમિયાન સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે જ્યારે બધા સ્થાનો પર સારો વરસાદ થાય.
તા.31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોવાથી સારો વરસાદ થાય. તા.14થી 28 સપ્ટેમ્બર સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં હોવાથી છૂટોછવાયો વરસાદ થાય. તા.28 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સૂર્ય હસ્ત નક્ષત્રમાં હોવાથી હાથિયો પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન સારો વરસાદ થાય. તા.10થી 23 ઓક્ટોબર સૂર્ય ચિત્રા નક્ષત્રમાં મધ્યમ વરસાદ થાય. તા.24 ઓક્ટોબરથી 6 નવેમ્બર સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં હોવાથી દરિયામાં વરસાદ થાય, કયાંક ઝાપટાં પડી શકે છે તેવું શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું.