શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોની સ્પીડને કાબૂમાં લેવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ નિવડતાં જીવલેણ અકસ્માતો સતત બની રહ્યા છે. શહેરની ભાગોળે કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે ચાલીને જઇ રહેલા માતા-પુત્રને ઉલાળ્યા હતા અને સાત વર્ષના બાળકનું તેની માતાની નજર સામે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતાને પણ ગંભીર ઇજા થઇ હતી.
કાલાવડ રોડ પર કણકોટ ગામના ક્રિષ્નાનગરમાં રહેતા હેતલબેન ભરતભાઇ ગોયલ (ઉ.વ.33) અને તેનો 7 વર્ષનો પુત્ર રાજવીર રવિવારે સવારે 11 વાગ્યે લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ પાસે નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઇને માતા-પુત્ર ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને કણકોટના પાટિયા પાસે કોલેજના ગેટ નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી ધસી આવેલી સિટી બસે માતા-પુત્રને ઉલાળ્યા હતા. બસની ઠોકરથી બંને રસ્તા પર ફંગોળાયા હતા, બસના તોતિંગ વ્હિલ માસૂમ રાજવીર પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે હેતલબેનના પગ પરથી પણ બસના વ્હિલ ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા હેતલબેનને હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા હતા.