રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા બાંધકામ સહિતનાં ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે શ્રમિક આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જોકે શરૂઆતથી જ શ્રમિક આવાસો માટે ફાળવવામાં આવેલી જગ્યાને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ વોર્ડ નંબર 11 સહિતનાં વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. ત્યારે આજે શહેરનાં વોર્ડ નંબર 4ની 10 સોસાયટીનાં 500થી વધુ લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને સ્ટેન્ડિંગ ચેરમેને હાલ કામગીરી સ્થગિત કરાઈ હોવાનું જણાવ્યું હતું.
વોર્ડ નંબર 4ની દેવલોક રેસિડેન્સીમાં રહેતા રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટી સહિત જુદી જુદી 10 જેટલી સોસાયટીનાં 500 કરતા વધુ લોકોએ આજે શ્રમિક બસેરાની કામગીરી અટકાવવા રજૂઆત કરી છે. શ્રમિક આવાસની કામગીરી આ સોસાયટીઓ વચ્ચે આવેલા પ્લોટમાં કરવામાં આવી છે. જેને કારણે અમારા વિસ્તારમાં ન્યુસન્સ ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. ત્યારે અમારી સોસાયટીઓ વચ્ચે સામાજીક હેતુનાં પ્લોટનો ઉપયોગ શ્રમિક બસેરા માટે ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.