રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ-મરણ દાખલા અને આધારકાર્ડ માટે આવતા લોકોની આજે ખૂબ લાંબી લાઈનો લાગી હતી, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પણ જન્મ-મરણ માટેના દાખલામાં સુધારા-વધારા માટે આવેલા લોકોને સર્વર બંધ થવાથી આવતીકાલે આવવાનું કહેવામાં આવ્યું હતું. આ કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. કેટલાક લોકો 400 રૂપિયા રોજ પાડીને આવ્યા હોવાથી ફરી આવવાનું કહેતા આક્રોશ ઠાલવ્યો હતો.
અમિત શર્મા નામના નાગરિકે જણાવ્યું હતું કે, બાળકના જન્મ તારીખના દાખલામાં સુધારો કરવા માટે સવારનાં 9 વાગ્યાથી લાઇનમાં ઉભો છું. 11:30 વાગ્યે સર્વર બંધ હોવાથી કામ બંધ થયું હોવાનું જણાવાયું છે. જેને લઈને હવે આવતા બુધવારે આવવાની ફરજ પડશે. આ પહેલા પણ બે વખત આવ્યો હતો, ત્યારેપણ લાઈનમાં વારો જ નહીં આવતા પરત ફરવું પડ્યું હતું. 400 રૂપિયા રોજમાં મજૂરી કામ કરૂં છું. જે છોડીને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા હોવાથી ખૂબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા કામગીરી ઝડપી કરવામાં આવે તેવી માંગ છે.