રાજકોટ નજીકના અમરગઢ-કુવાડવા વિસ્તારમાં સરકારી જમીન પર પેશકદમી કરનારા 28 શખ્સોને કલેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારી દેવામાં આવી છે. જેમાં આગામી તા.27ના રોજ આખરી સુનાવણી બાદ ઓપરેશન ડિમોલીશન હાથ ધરી દબાણની સાફસૂફ કરવામાં આવનાર છે. દિવાળીના તહેવારોને લઈને ડિમોલિશન અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે, હવે નોટિસ ફટકારવામાં આવી છે. જો સ્વેચ્છાએ દબાણ હટાવવામાં નહીં આવે તો બુલડોઝર ફેરવી સરકારી જમીન ખાલી કરાવવામાં આવશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અભિયાન છેડવામાં આવેલ છે. રેવન્યુ અધિકારીઓની બેઠકમાં પણ કલેકટર પ્રભવ જોશી દ્વારા સરકારી જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. દિપાવલીના તહેવારો ઉપર દબાણ હટાવ ઝુંબેશને થોડી બ્રેક મારવામાં આવી હતી.