દેશભરમાં દિવાળીનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ યોજવાની પરંપરા છે. રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરને 26 વર્ષ પણ પુરા થતા હોવાથી 1500થી વધુ વાનગીઓનો અન્નકૂટ ભગવાનને ધરવામાં આવ્યો હતો. મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તમામ વાનગીઓનું પ્રસાદ સ્વરૂપે વિવિધ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ સેન્ટ્રલ જેલના કેદીઓમાં પણ વિતરણ કરવામાં આવશે. અભૂતપૂર્વ અન્નકૂટના દર્શન કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે 275 જાતના વિવિધ મિષ્ટાન, 260 જાતનાં વિવિધ ફરસાણ, 50 જાતનું ભીનું મિષ્ટાન, 100 પ્રકારનાં ભીના ફરસાણ અને નાસ્તા, 100 જાતની બેકરીની વાનગીઓ, 40 જાતનાં આઈસક્રીમ અને કેન્ડી, 30 પ્રકારના મુખવાસ અને જ્યુસ, શરબત, લસ્સી, મિલ્કશેક અને સૂપ સહિત કુલ 1500થી વધુ વાનગીઓ નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ તેમજ મંદિર પર ઠાકોરજી સમક્ષ ધરવામાં આવી છે. અન્નકૂટની વાનગીઓમાં ફરસાણ, મીઠાઈ, નમકીન, બેકરી આઇટમ વગરે અલગ-અલગ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.