શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર નવા બંધાતા બિલ્ડિંગ સાઇટ પર કામ કરતી વેળાએ 10મા માળેથી પટકાતાં શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે શ્રમિકના પરીવારમાં શોક છવાયો છે. તેમજ મૃતકના પરિવારજનોએ બિલ્ડરની બેદરકારીના કારણે આ બનાવ બન્યાનો આક્ષેપ થતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામનાથપરા નજીક ભવાનીનગરમાં રહેતા મહેશભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.26) મંગળવારે 150 ફૂટ રિંગ રોડ પર ઓરિએન્ટ નામની નવી બંધાતી બિલ્ડિંગના 10મા માળેથી કામ કરતી વેળાએ નીચે પટકાતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જમાદાર ભગીરથસિંહ ખેર સહિતે તપાસ કરતા શ્રમિક યુવાન મહેશભાઇ કલરકામ કરતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું તેમજ બનાવમાં બિલ્ડરે કામ કરતા શ્રમિકો માટે કોઇ સેફ્ટી રાખી નહીં હોવાનો આક્ષેપ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસે પરિવારોને સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો.