દિવાળી પૂર્વે ગરીબો માટે એટલે કે રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતો દાળનો જથ્થો હજુ સુધી તમામ સસ્તા અનાજની દુકાનોએ પહોંચ્યો નથી જેને કારણે લોકો સસ્તા અનાજની દુકાનોએ દુકાન ધારકો પર પોતાનો રોસ ઠાલવી રહ્યા છે તો દુકાનદારો પુરવઠા વિભાગ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં 2 લાખ સહિત રાજ્યમાં 74 લાખ રાશન કાર્ડ ધારક દીઠ આપવાનો થતો 1 કિલો દાળનો જથ્થો સસ્તા અનાજની દુકાનો એ જ પહોંચ્યો નથી. જેને લીધે ગરીબોની દિવાળી બગડે તેવું લાગી રહ્યું છે. જોકે આ માટેનું કારણ એ ચર્ચાઈ રહ્યું છે કે દાળનું સેમ્પલ લેબોરેટરીમાં ફેઇલ ગયું છે તો ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવેલો છે તેમના દ્વારા પણ અમુક જગ્યાએ મોડું કરવામાં આવી રહ્યું છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના અને રાજકોટના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં 2 લાખ સહિત ગુજરાત રાજ્યમાં 74 લાખ જેટલા રાશનકાર્ડ ધારકો છે જેઓને દિવાળીના તહેવારને લઈને એટલે કે 31 ઓક્ટોબર સુધીમાં દાળ અને ખાંડનો 1 – 1 કિલોનો જથ્થો આપવામાં આવનાર છે પરંતુ રાજકોટ સહિત રાજ્યભરમાં દાળના જથ્થાની અછત છે રાજકોટ શહેરમાં 50% જેટલો જથ્થો આવ્યો છે પરંતુ અનેક તાલુકા અને જિલ્લામાં દાળનો જથ્થો જ આવ્યો નથી.