રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે રાજકોટની જનાના હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવનો 4 વર્ષીય બાળક શંકાસ્પદ જણાતા તેના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને આ બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ આ બાળક સહિત કુલ 4 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી એક દર્દી પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવી ચુક્યો છે. જ્યારે બાકી ત્રણેય બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હાલ સારવાર લઈ રહેલા ચારેય બાળકોની તબિયત સ્થિર છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની જનાના હોસ્પિટલમાં આજે પોરબંદર જિલ્લાનાં રાણાવાવમાં રહેતા 4 વર્ષીય બાળકને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને બાળકને તરત જ ચાંદીપુરા માટેના ખાસ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ બાળકના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ જનાના હોસ્પિટલમાં આ બાળક સહિત કુલ 4 બાળકો સારવાર હેઠળ છે. અને તમામની તબિયત સારી હોવાનું ડૉક્ટર્સ દ્વારા જણાવાઈ રહ્યું છે.