રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં નવા થોરાળા વિસ્તારના ગોકુલપરામાં રહેતા 21 વર્ષીય યુવકને તેના જ બે મિત્રોએ પથ્થરનાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે થોરાળા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર યુવાનના અગાઉ લવમેરજ થયા બાદ છૂટાછેડા થયા હતાં. અને તે મિત્ર કરણ ઉપર ખોટી શંકા કરતો હોય વારંવાર ગાળાગાળી થતી હતી. જેના કારણે હત્યા થયાનું ખુલ્યું છે.
થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર નિતીન ઉર્ફ નિખીલ ઉર્ફ નાથો પરષોત્તમભાઇ સોલંકી (ઉ.વ.21)ના મોટા ભાઇ ધીરૂ સોલંકી (ઉ.વ.22)ની ફરિયાદ પરથી મૃતક નિતીનના જ મિત્રો મનોજ મકવાણા તથા કરણ રાઠોડ વિરૂધ્ધ બીએનએસની કલમ 103 (1), 54 મુજબ હત્યાનો ગુનો નોંધી એક આરોપી મનોજની ધરપકડ કરી છે. તેમજ અન્ય આરોપી કરણની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની ફરિયાદમાં ધીરૂ ઉર્ફ કિશન સોલંકીએ જણાવ્યું હતું કે, જેની હત્યા થઇ તે નાનો ભાઇ નિતીન ગત તા.20.07.2024ના શનિવારે મોડી રાત સુધી ઘરે આવ્યો ન હતો. અગાઉ પણ તે આ રીતે ઘરે આવતો ન હોઇ, જેથી અમને થયું હતું કે તે સવાર પડ્યે આવી જશે. રવિવારે સવારે પણ તે ઘરે ન આવતાં તેને શોધવા માટે તેના બે મોબાઇલ નંબર પર વારંવાર ફોન કરતાં હતાં. પરંતુ તે ફોન રિસીવ કરતો નહોતો. પછી મારા પરિવારના સભ્યોએ મારા ભાઇ નિતીન ઉર્ફ નાથાના મિત્રોને પણ ફોન કરીને નિતીન વિશે પુછતાછ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી નહોતી.