રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકાના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં મોટા પાયે તારાજી થયાના અહેવાલ આવતાં કલેક્ટર પ્રભવ જોશીએ ખેતીવાડી વિભાગને સરવેનો આદેશ કર્યા બાદ ખુદ મોનિટરિંગ માટે દોડી ગયા હતા અને ગામોમાં થયેલી નુકસાનીનો અંદાજ મેળવ્યો હતો. ઉપલેટા અને ધોરાજી તાલુકામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા ધૂમ મચાવી રહ્યા છે અને તેના પરિણામે અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ત્યાં એસડીઆરએફની ટીમો પણ કામે લગાડી દેવાઇ છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનીનો અંદાજ મેળવવા ખુદ કલેક્ટરે બન્ને ગામોની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ઉપલેટાના લાઠ, ભીમોરા, તલંગણા તથા ધોરાજીના છાડવાવદર સહિતના વિવિધ ગામોની મુલાકાત લઇ ખેતરોમાં ફરી વળેલા પાણીને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવ્યો હતો.