TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો મૃત્યુ પામ્યાની ઘટનાથી માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આજે રાજકોટમાં જુદા જુદા સંગઠનોએ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે ન્યાયની દેવીની મૂર્તિને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરી હતી અને વિનંતી કરી હતી કે, દુર્ઘટના મામલે ન્યાયની દેવી આંખો પરથી પટ્ટી હટાવે અને તમામ આરોપીઓને ફાંસીની સજા થાય. આરોપીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા સહિતની માગ કરી હતી. તેમજ કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા.
સામાજિક સંગઠનના કાના કુબાવતે જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જવાબદાર તમામ આરોપીઓને કડક સજા થાય જેવી કે આજીવન કેદ. મુખ્ય અપરાધીને ફાંસીની સજા થાય, જેથી આવનાર ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવા કૃત્ય કરતા પહેલા 100 વાર વિચારે. આ ઉપરાંત ઘટનાની તપાસ પૂરી નિષ્ઠાથી નિષ્પક્ષ થાય, કોઈને પણ છોડવામાં ન આવે. ભલે એ ગમે તેવા નેતા હોય કે મોટા અધિકારી હોય. આ સાથે જ પકડાયેલ આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને પીડિત પરિવારોને સોંપવામાં આવે. આજ અમે ન્યાયની મૂર્તિને સાથે લઈને આવ્યા છીએ, એમને કહી રહ્યા છીએ કે, આજે તમો આંખ ઉપરની પટ્ટી ઉતારીને આવા નરાધમોને સજા કરો.