રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં અને હાલ સરધાર માવતરના ઘેર રહેતી પરિણીતાને કારખાનેદાર પતિ સહિતના સાસરિયાંઓ ઘરકામ બાબતે ત્રાસ આપી મારકૂટ કરતા અને પારડી ગામના ભૂવાએ છૂટું કરી નાખો આ લગ્નજીવન ચાલે તેમ નથી કહેતા સાસરિયાંઓએ તેને પિયર મોકલી આપ્યા બાદ તેડી ગયા ન હોવાની ફરિયાદ કરતા શાપર પોલીસે સાસરિયાં તેમજ ભૂવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરધાર ગામે પિતાના ઘેર રહેતા રીમાબેન કુણાલભાઇ કાપડિયા (ઉ.28)એ કારખાનેદાર પતિ કુણાલ, સસરા મુકેશભાઇ, સાસુ કુસુમબેન, જેઠ હાર્દિક, જેઠાણી ભૂમિબેન અને ભૂવા ધીરૂભાઇ સામે ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કોલેજ સુધી અભ્યાસ કર્યા બાદ તેના લગ્ન બે વર્ષ પહેલાં શાપર-વેરાવળમાં ખોડિયારનગરમાં રહેતા અને કારખાનું ચલાવતા કુણાલ સાથે થયા હતા. બાદમાં એક વર્ષ બાદ સાસુ અને જેઠાણી ઘરકામ બાબતે માથાકૂટ કરતા અને ત્રાસ આપતા હોય અને ત્યાર બાદ જેઠાણી સાથે બોલાચાલી થતા તેને અને જેઠે મારકૂટ કરી હતી. તેમજ સસરા કહેતા કે, તું મોઢું બગાડીને ઘરમાં રહે છે અને કોઇની સાથે સંપીને રહેતી નથી અને માથાકૂટ કરી હતી. જે અંગે પતિને વાત કરતા પતિ પણ આ લોકો સાથે રહી તેને હેરાન કરતો હતો. ત્યાર બાદ તા.18-5-2024 ના રોજ તેના પિતા અને ભાઇ તેને ઘેર આટો મારવા લઇ ગયા બાદ તેડવા આવવા બાબતે બહાના બતાવતા હોય અને ત્યાર બાદ તેને જાણવા મળ્યું હતું કે, પારડી ગામે રહેતા ધીરૂભાઇ ધરસુડિયા જેઓ ભૂવા હોય અને દાણા જોવાનું કામ કરતા હોય તેમને સાસુ-સસરાને કહ્યું કે, આ છૂટું કરી નાખો આ લગ્નજીવન ચાલે તેમજ નથી. જેથી સાસરિયાઓ હેરાન કરી ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના માતા-પિતા સાથે આવી ફરિયાદ કરતા જમાદાર મકવાણા સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યાવાહી કરી હતી.