રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 21 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઈલ પશુ ચિકિત્સાલય’, ‘એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે.
અત્યાર સુધીમાં 12,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે, નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા, 11 એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 12,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિનામૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/સંસ્થાની જ નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા જિલ્લા કલેક્ટર તંત્ર અને જિલ્લા પશુપાલન ખાતાનાં સહયોગથી રાજકોટ શહેરની 60 જેટલી પાંજરાપોળ – ગૌશાળાઓમાં 18,000 જેટલા અબોલ જીવો માટે મેગા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. આ ડ્રાઇવમાં દરેક સંસ્થામાં વેટરનરી ડોક્ટર્સની ટીમને મોકલી ત્યાંના તમામ પશુ પક્ષીઓને જરૂરી તમામ વેકસીનેશન, સારવાર તેમજ જરૂરી ઓપરેશન પણ કરવામાં આવશે. પશુઓનું આરોગ્ય સુધરે તે હેતુથી બહોળા પ્રમાણમાં મિનરલ બ્લોક પણ અપાશે જેથી પશુઓના શરીરમાં મિનરલ, વિટામિનની ઉણપ દૂર થાય.