રાજકોટમાં સંજય ડોબરીયા નામના શખસે લાલચ આપી 12 ફ્લેટ, 4 દુકાનના પૈસા પડાવ્યાની ફરિયાદ સામે આવી છે. જેમાં ભોગ બનનાર અર્જુન ભગવાનભાઈ મઠીયા ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું બંધુલીલા ડેવલપમેન્ટ નામે ઓફીસ ધરાવી બાંધકામનો વ્યવસાય કરૂ છું. હું બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો હોય તેથી જમીન-મકાન-દુકાનમાં આર્થિક રોકાણ કરૂ છું. 2021માં મારે મોરબી રોડ, સેટેલાઇટ ચોકથી આગળ આવેલા આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટ ખાતે સંજય લાલજીભાઈ ડોબરીયા સાથે મુલાકાત થઈ હતી. અમારે એકબીજાને ઓળખાણ થઈ તે વખતે મેં તેઓને હું જમીન-મકાનમાં રોકાણ કરતો હોવાની વાત કરી હતી. તેથી સંજયે પોતાના તેમજ પોતાના પત્ની જ્યોત્સનાની માલીકીનો આ આર્યન એવન્યુ નામે દુકાનો તેમજ ફ્લેટનો પ્રોજેક્ટ ચાલુ હોવાની વાત કરી હતી અને મને કહ્યું કે, પોતાનો આ પ્રોજેક્ટ સારો છે અને હાલ રોકાણ કરશો તો ભવિષ્યમાં પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યારે સારૂ એવું રીટર્ન મળશે.
મેં સંજય પાસેથી તેઓના આર્યન એવન્યુ નામના પ્રોજેક્ટ બાબતે માહિતી મેળવતા તેઓએ મને દુકાન અને ફ્લેટની જગ્યા પ્રમાણે ભાવ જણાવ્યા હતા. તેમજ આગામી દોઢેક વર્ષ સુધીમાં પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે અને પઝેશન આપી દેવામાં આવશે તેમ વાત કરી હતી. મારે સંજય સાથે તેઓના પ્રોજેક્ટમાં રોકાણ કરવા બાબતેની વાતચીત ચાલુ હતી. બાદ આ સંજય ડોબરીયા અવારનવાર મને તેઓના પ્રોજેક્ટમાં રોકાણ કરવા બાબતે કહેતો હતો. મને પણ આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારૂ એવું રીટર્ન મળશે તેવું લાગ્યું હતું. તેથી મેં સંજયના પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.