શહેરના TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ મનપાની ટીપી શાખાનું વિસર્જન થઇ ગયું હોય તેમ મોટા ભાગની કામગીરી સ્થગિત બની હતી. જોકે હવે 2 માસથી વધુ સમય બાદ ટીપી શાખાના બુલડોઝર બહાર નીકળ્યા છે.આજે લાંબા સમયે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 17 માં કોઠારીયા રોડના ઘનશ્યામનગરમાં ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આવાસ યોજના હેતુના પ્લોટમાં 3500 ચો.મી. જગ્યામાં ખડકાયેલા વંડા સહિતના સાત દબાણ હટાવી રૂ. 18 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
મનપાના તમામ પ્લોટ સલામત રાખવા અને સમયાંતરે ડિમોલીશન કરી સુરક્ષિત પગલા ભરવા સૂચનાઓ આપવામાં આવેલી છે. તેના પગલે હવે ટીપી શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવા કિંમતી પ્લોટ પરના દબાણ હટાવવાનું શરૂ કરાયું છે. કમિશ્નર ડી.પી. દેસાઈની સૂચના અનુસાર ડે. કમિશ્નર એચ.આર. પટેલ તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.17માં ઘનશ્યામ નગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.5 (રાજકોટ), એફ.પી.નં. 253 (એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.) હેતુના અનામત પ્લોટની કુલ જમીન ચો.મી. 25,159માં થયેલ ગેરકાયદેસર બાંધકામ પૈકી અંદાજે 3,500 ચો.મી. જમીનમાં તાજેતરમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરી, અંદાજે 18 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.