રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલ આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોના-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને દેખાવ કરી 5.50 લાખ રૂપિયા ઉછીના લઇ ગયા બાદ આ રકમ પરત ન આપતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કૃણાલ અતુલભાઇ પિત્રોડાની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે રાજકોટ રહેતાં જામનગરના મિનેષ અતુલભાઇ પિત્રોડા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમારો વેપાર વધારવામાં અમે મદદ કરીશું કૃણાલ પિત્રોડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભવાની એન્જીનિયરિંગ નામે ચાંદી કામની મશીનરી બનાવવાનુ઼ કારખાનુ અને શો-રૂમ ચલાવુ છું. ગઇ તા.02.11.2023ના બપોરનાં 3.15 વાગયે હું કારખાને હતો ત્યારે મારા પિતાનો ફોન આવ્યો અને કહ્યું ,કે આપણા સમાજના એક ભાઇ જામનગરથી આવે છે અને તે લાલપુરવાળા શાંતિભાઇના રેફરન્સથી આવે છે. તું તેને જોઇ લેજે. થોડીવારમાં તે ભાઇ આવ્યા હતા, જેણે પોતાનું નામ મિનેષ અતુલભાઈ પીત્રોડા જણાવ્યું હતું. તેણે પોતે જામનગરમાં ભગવતી એન્જીનીયરીંગ નામનું ટ્રેક્ટર/ટેલરનું મેન્યુફેક્ચરીંગ કરતા હોઇ અને પોતે અમારા જેવું જ કામ કરતા હોઇ જેથી અમારા ધંધાનો વેપાર વધારે વિક્સાવવા અને ગ્રાહકો વધારવા માટે મદદ કરશે એવી વાત કરી હતી.
ઉતાવળમાં મે તેને 5.50 લાખની રોકડ આપી દીધી ત્યારબાદ મિનેષે કહ્યું કે, મારી માલ ભરેલી ગાડી રાજકોટ શહેર અટીકા ફાટક આસપાસ કોઈ કારખાનામાંથી કાઢવાની છે અને તે વેપારીને મારે 5.50 લાખ આપવાનાં છે અને મારો ભાઈ જામનગરથી RTGS કરાવે છે, એ પહેલા તમે મને 5.50 લાખ આપો તો મારે એ વેપારીને દેવાના છે. આ પછી મિનેષે મારા જુના મિત્ર કે જેની સાથે હું આણંદમાં ભણ્યો હતો. તે કિર્તનભાઇ ગજ્જરનું પણ નામ આપતાં હું વિશ્વાસમાં આવી ગયો હતો. આ દરમિયાન મિનેષ ઉતાવળ કરવા લાગતાં મેં તેને રોકડા 5.50 લાખ આપી દીધા હતાં.