રક્ષાબંધન પર્વ પહેલા મુસાફરોને રાજ્ય સરકારે નવી ST બસોની ભેટ આપી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી.બસનું લોકાર્પણ કરી લીલીઝંડી આપી હતી. આ નવી બસમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે. તહેવારોને લઈ એસટીના વિશેષ સંચાલનમાં આ નવી બસનો પણ ઉપયોગ કરવામાં આવશે.
101 નવી બસના લોકાર્પણ પૈકી 91 બસના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે 91 પૈકી 65 નવા રૂટ પર બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રક્ષાબંધન દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી આજે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ સહિતના તીર્થધામોના રૂટ પર વિશેષ બસ દોડાશે. આ ઉપરાંત રક્ષાબંધનને ધ્યાનમાં રાખી નવી બસ 65 નવા રૂટ પર મૂકવામાં આવી છે. મુસાફરો માટે ઓનલાઈન તેમજ ડેપો પરથી એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.