રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રામાં ગંભીર ચૂક કરીને વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ઓપરેશન સિંદૂર સાથેના પોસ્ટરોમાં ભારત પર હુમલા માટે પાકિસ્તાને છોડેલા પ્લેનના ફોટો મૂકવાની શરમજનક ઘટનામાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી જવાબદારો સામે પગલાં ભરવા માગણી ઉઠાવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ જાડેજાએ પત્રમાં રજૂઆત કરી હતી કે, મનપા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરના તમામ પોસ્ટરોમાં પાકિસ્તાનના F-16 વિમાનના ફોટો મુકાયા હતા. જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર માટે સજાને પાત્ર છે. જ્યારે બેનરો મુકાયા ત્યારે અધિકારીઓ દ્વારા ચેક શા માટે નથી થયું.
પોસ્ટરો બેનરો ઓપરેશન સિંદૂર નયે ભારત કી પહેચાન તેવા સ્લોગન પણ મરાયા હતા, પરંતુ ભારતે યુદ્ધમાં ઉપયોગમાં લીધેલા રાફેલ, સુખોઈ, બ્રહ્મોસ, મિગ સિરીઝ કે તેજસ ન હતા, પરંતુ મનપાના જવાબદાર અધિકારીઓએ ભાંગરો વાટતા પાકિસ્તાનના વિમાન પોસ્ટરમાં મુકાતા જવાબદાર અધિકારી સામે તાત્કાલિક પગલાં ભરી જે એજન્સીને કામ સોંપાયેલું છે તે એજન્સી સામે કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ થવી જોઈએ.