હંમેશા પોતાનું ધાર્યુ જ કરતા અને અવારનવાર જજની ભૂમિકામાં આવી જતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ. વસાવા સહિત પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરની અરસ પરસ બદલી કરી નાખવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં બેદરકાર વસાવાને શહેરમાં ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે માટે જવાબદારી સોંપાઈ છે.
શહેરના અમુક પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કેટલાક સવાલો ઉપસ્થિત થયા હતા. ફરિયાદ ન લેવા સહિતની કેટલીક રજૂઆત પોલીસ કમિશનર ઝા સુધી પહોંચી હતી. આથી એકસાથે પાંચ પી.આઈ.ની અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં સૌથી સારો નિર્ણય યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ. એમ.જી. વસાવાની બદલી કરીને લેવામાં આવ્યો છે. વસાવાને ટ્રાફિક શાખામાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક શાખાના આઈ.એન. સાવલિયાને એરપોર્ટ, એસ.આર. મેઘાણીને લિવ રિઝર્વ, રીડર શાખાના એચ.એન. પટેલને યુનિવર્સિટી પોલીસ મથક, જ્યારે એરપોર્ટના પી.આઈ. જે.એસ. ગામીતને ટ્રાફિકમાં મૂકી દેવામાં આવ્યા છે.