શહેરના રૈયા ચોકડી પાસે કર્મચારી સોસાયટી શેરી નં.6/7ના ખૂણે રહેતા જતિનકુમાર અરવિંદભાઈ ચાવડા(ઉં.વ.35) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિત કુંભાણી અને તેના નાના ભાઈ નીતિન કુંભાણીનું નામ આપ્યું હતું.
જતિનકુમારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમણે અગાઉ ઓનલાઈન કામ કરતાં કલ્પેશભાઈ માથુકિયા દ્વારા અમિત કુંભાણી અને તેના સગાભાઈ નીતિન કુંભાણી સાથે પરિચય થયો હતો.
આ બંને ભાઈઓ રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક એફોર્ટ્સ બાથહબ સિરામિક અને રિકાટા નામના સિરામિકના શોરૂમ ધરાવતા હોય આ ઉપરાંત બંને કેશોદના વતની હોય અને ફરિયાદી પણ કેશોદ વતન ધરાવે છે. જેથી વધારે પરિચયમાં આવ્યા બાદ બંને ભાઈઓએ ફરિયાદીને શોરૂમમાં રોકાણ કરવાની વાત કરી હતી. જેમાં ફરિયાદીને મૂડી ઉપર દોઢેક ટકા જેટલું વળતર આપવાની વાત કરવામાં આવી હતી.
આમ ફરિયાદી જતિનકુમાર ચાવડાએ તે ભાઈઓના શોરૂમમાં કુલ રૂપિયા 35 લાખનું રોકાણ કર્યું તથા આરટીજીએસ દ્વારા આઠેક મહિના સુધી વળતર પણ મેળવ્યું હતું. જે છેલ્લા દોઢેક વર્ષથી વળતર ન ચૂકવતા ફરિયાદીએ વળતરની માગણી કરી હતી. ત્યારે બંને ભાઈઓએ ધંધામાં મંદી હોવાનું જણાવ્યું હતું.
જેથી આરોપીએ રૂ.24.6 લાખનો ચેક તેના નામે લખાવી લીધો હતો. ચેક ક્લિયરન્સ માટે મોકલતા આરોપીનું બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું. જેથી તેમણે તેમની પેઢીનું નામ પણ બાલાજી સિરામિક નામ ફેરવી દીધેલું છે.
બાદમાં ગુરુવારે બપોરના સમયે ફરિયાદી જતિનકુમાર ઘરે હતા ત્યારે અમિત કુંભાણીએ તેને કોલ કર્યો અને કહ્યું કે,‘તમારું પેમેન્ટ મારા શોરૂમથી લઈ જાઓ, હાલ હું પાંચ દસ લાખનું કરી દઈશ. તમે પોલીસ કેસ ન કરતા તમે પૈસા લઈ જાવ.’ જેથી ફરિયાદી તેના માતા કાંતાબેન સાથે ફોર વ્હિલ લઈને આરોપીના શોરૂમે ગયા હતા. જ્યાં કુંભાણી બ્રધર્સ સહિત 4 શખ્સ ખુરશી પર બેઠા હતા.