હાર્ટએટેકના હુમલાના બનાવમાં વધુ ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાં ચાર દિવસ પહેલાં જ પુત્રના લગ્ન થયા હતા તેના પિતાને હાર્ટએટેકથી તેમજ આધેડ અને પ્રૌઢનું અચાનક ઢળી પડતાં મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
શહેરમાં કોઠારિયા રોડ પર કૈલાસ પાર્કમાં રહેતા વિક્રમભાઇ વિભાભાઇ જળુ (ઉ.46) રાત્રીના તેના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજી ડેમ પેાલીસે તપાસ કરતા મૃતકને સંતાનમાં બે પુત્ર હોવાનું અને ચાર દિવસ પહેલાં તેના પુત્ર રાજના લગ્ન થયા હતા. જે આંગણે લગ્નના ઢોલ ઢબૂક્યા હતા ત્યાં આજે પિતાનાં મોતથી મરશિયા ગવાયા હતા.
જ્યારે બીજા બનાવમાં 80 ફૂટ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા હેમુભાઇ ભાણજીભાઇ ચાવડા (ઉ.52) રાત્રીના તેના જમતા હતા ત્યારે અચાનક ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતાં આધેડને હાર્ટએટેક આવી ગયાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે, જ્યારે સત્યમ પાર્કમાં રહેતા મનીસિંગ રઘુવંશી શર્મા (ઉ.55) રાત્રીના તેના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતાં મૃતક હાલ નિવૃત્ત જીવન જીવતા હોવાનું અને તેને હાર્ટએટેક આવી ગયાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ વિશેષ કાર્યવાહી કરી છે.