દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના લીધે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
જોકે બીજી તરફ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત રહેશે, જેથી અમદાવાદીઓએ અસહ્ય તાપ વચ્ચે હજુ થોડી રાહ જોવી પડશે. અમદાવાદમાં અને રાજકોટમાં આજે ગરમીનો પારો 41.9 ડિગ્રી પર પહોંચ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. બીજી તરફ, ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ(13 જૂન સુધી) દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે.