આદમ મોહમ્મદજુમન અંસારી (ઉં.વ.20) તા.19 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 10.30 વાગ્યા આસપાસ પોતે બાઇક લઈને જતો હતો, ત્યારે ત્રિકોણબાગ પાસે ખાનગી બસના ચાલકે અડફેટે લેતા માથાના ભાગે તથા શરીરે ઇજા થતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં તબિયત લથડતા ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું હતું. પિતા મોહમ્મદજુમન રેલવે જંક્શન પાસે પંચરની કેબીન ધરાવે છે. મૃતક આદમને કુલ 4 પુત્ર છે જેમાં આદમ બીજા નંબરનો હતો અને તે કુંવારો હતો.
આદમ ગરેડીયા કુંવા રોડ પર આવેલ હાર્ડવેર ટુલ્સની પેઢીમાં કામ કરતો હતો. બનાવના દિવસે શેઠ માનીતભાઈ સોનપાલનું બાઈક લઈ તે લોધાવાડમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસે પાર્સલ મુકવા જતો હતો ત્યારે ત્રિકોણબાગ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઈ ગયો હતો. આદમને માથામાં ઇજા હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું જોકે સારવાર બાદ પણ તેની તબિયત સુધરી ન હતી અને સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.