જળવાયુ પરિવર્તનની ઘાતક અસરો આખું વિશ્વ ભોગવી રહ્યું છે ત્યારે જસદણના એક પર્યાવરણ પ્રેમીએ આજથી નહીં, 46 વર્ષથી આ સમજ કેળવી લીધી છે અને નાનપણથી જ પોતાના જન્મદિવસે એક રોપ વાવવાનો અને તેને ઉછેરવાનો સંકલ્પ લીધો છે અને તાજેતરમાં તેમણે પોતાના 46મા જન્મદિવસે પણ એ જ પરંપરા જાળવી રાખી હતી.
જસદણના પર્યાવરણ પ્રેમી પ્રવીણભાઈ છાયાણીએ પોતાના 46માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે જન્મદિવસ નિમિત્તે ત્રણ વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જે છેલ્લા 46 વર્ષથી ચાલી આવતી તેમની પરંપરા છે. આ પ્રેરણાદાયક પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 46 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પર્યાવરણની ખેવના કરતા પ્રવીણભાઇએ બાળકોના હસ્તે રોપનું વાવેતર કરાવી સમાજને ઉમદા દાખલો પુરો પાડ્યો હતો.
આ વર્ષે પ્રવીણભાઈના જન્મદિવસ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખેતીવાડી સાથે સંકળાયેલા નાના અને ગરીબ માણસો તેમજ મજૂર ભાઈઓ-બહેનો અને નાના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ સૌએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.