આજે વિશ્વ યોગ દિવસે ગુજરાતમાં 300 સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમ યોજાય હતા. તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 સ્થળોએ તો રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉપલેટા ખાતે યોગ દિવસનું આયોજન થયું હતું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની અધ્યક્ષતામાં માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈનચાર્જ મેયર નરેન્દ્રસિંહ જાડેજાની સાથે NCC કેડેટસ, યુવક-યુવતીઓ સહિતનાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો હતો. આ તકે રાજ્યનાં પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ કહ્યુ કે, કોઈપણ વ્યક્તિ જ્યારે કરપ્શન કરે ત્યારે તેનો આત્મા તેવું કરવા માટેની ના પાડે છે. જોકે, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચાર બાબતે પૂછવામાં આવતા તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, વ્યક્તિના શરીરની અંદર ચાર વસ્તુ હોય છે. સ્થૂળ શરીર હોય છે. શરીર ઉપર મન હોય છે. મન ઉપર બુદ્ધિ અને બુદ્ધિ ઉપર આત્મા હોય છે. વ્યક્તિ કોઈ કૃત્ય કરવા જતો હોય તો મન એમ કહે કે આ કૃત્ય કરું કે ન કરું. કરપ્શનના પૈસા લઉં કે ન લવ? અત્યારે બધા લે છે, તો હું પણ લઈ લઉં, પરંતુ કોઈનો આત્મા તેને ખોટું કરવાનું કહેતો નથી. આત્મા કહે તે જ કરવું જોઈએ. આ સમયે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કરપ્શનમાં પકડાઈ રહ્યા છે તે બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આજે આ વિષય નથી.