દેશનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન છે સ્વયંભૂ પ્રગટેલા એકદંત વિઘ્નહર્તા ગણેશ

અમદાવાદની નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે

 મંદિરની ખાસિયત : સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.

મંદિરનો ઈતિહાસ
ગણપતપુરાના આ મંદિરનો ઈતિહાસ લોકવાયકા મુજબ વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. વર્ષો પહેલા આ સ્થળે વન હતું. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે જઈને ઊભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડ્યું હતું.

ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *