શહેરમાં ભાવનગર રોડ પર ઢાંઢિયા ગામે રહેતી મહિલાએ રાજસમઢિયાળા ગામની સીમમાં ઝાડમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવમાં આજી ડેમ પોલીસે તપાસ કરતાં બાળકીને મારકૂટ કરવાની ના પાડી પતિએ ઠપકો આપતા પત્નીએ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.
ઢાંઢિયા ગામે રહેતા અનિતાબેન સુનિલભાઇ પરમાર (ઉ.24) એ રાજસમઢિયાળા ગામ પાસે આર.કે. પ્રાઇમ ઇન્ડસ્ટ્રીઝ નજીક ઝાડમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ એસ.વી.ગોહિલ સહિતે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૂળ એમપીના અને હાલ ઢાંઢિયા ગામે રહેતી અનિતાબેનને સંતાનમાં એક પુત્રી હોવાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા કડિયાકામ કરતા હતા અને પતિ પણ મજૂરી કામ કરે છે. પોલીસની વધુ તપાસમાં તેની ત્રણ વર્ષની પુત્રીને મારકૂટ કરતા તે રડતી હોય જેથી પતિએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લીધું હતું.