અમરેલીના માછીયાળા ગામના ખેડૂત યુવાનને ખેતમજૂરી કામ કરતી ત્રણ સંતાનની માતા સાથે પ્રેમ હોય સાવરકુંડલાથી બન્ને ભાગી ગયા બાદ રાજકોટના પડધરી નજીક ન્યારા ગામ પાસે વાડીમાં સજોડે ઝેર પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. છેલ્લા પાંચેક વર્ષથી વાડીમાં ખેતમજૂરી કામ કરતી મહિલા સાથે વાડીમાલિક યુવકને પ્રેમસંબંધ હોવાનું પરિવારો એક નહીં થવા દે તેવા ડરથી આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું.
પડધરીના ન્યારા ગામના પાટિયા પાસે વાડીમાં એક મહિલા અને પુરુષ બેભાન હાલતમાં પડ્યા હોવાની રાહદારીએ જાણ કરતાં 108ની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કર્યો હતો જ્યારે મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકના એએસઆઇ કેકે ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાન અમરેલીના માછીયાળા ગામે રહેતો અને ખેતીકામ કરતો વિનોદ બાબુભાઇ જાવિયા (ઉ.37) દવા પી તેના મોટાભાઇને પગલું ભરી લીધાની જાણ કરતાં તેના પરિવારે પડધરી આવી પોલીસને જાણ કરી હોવાનું અને મૃતક મહિલા સાવરકુંડલા પંથકમાં વાડીમાં પતિ અને સંતાનો સાથે ખેતમજૂરી કામ કરતી જાનુબેન સાથે બુધવારે ભાગી જઇ પડધરી નજીક ઝેરી દવા પી જતાં વિનોદભાઇનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું.
જ્યારે જાનુબેનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાંચેક વર્ષ પહેલાં જાનુબેન તેના પતિ સાથે વિનોદભાઇની વાડી ભાગિયામાં રાખી હોય પરિચયમાં આવ્યા બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જાનુબેનના પતિએ હવે અમારે પત્ની સાથે કોઇ સંબંધ ન હોવાનું જણાવતા પોલીસે એમપી રહેતા જાનુબેનના પિતાને જાણ કરી વધુ કાર્યવાહી કરી છે.