શહેરમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા વૃદ્ધે સ્યૂસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે બી.ડિવિઝન પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શ્રી રેસિડેન્સીમાં રહેતા ધીરજભાઇ નાગજીભાઇ ઢોલરિયા (ઉ.67)એ તેના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો. પુત્ર રૂમમાં બોલાવવા જતા પિતાને લટકતા જોઇ દેકારો કરતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને તેને ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
બનાવને પગલે બી.ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ગાધે સહિતના સ્ટાફે તપાસ કરતાં મૃતક વૃદ્ધ છૂટક મજૂરીકામ કરતા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે અને તેને બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું.