હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ જેમાં વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડશે. 30 મેથી લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે ક્યા ક્યા જિલ્લામાં વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ આ ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાં છે.
ગઈકાલે અમદાવાદમાં એક જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, જગતપુર અને ન્યુ રાણીપ વિસ્તારમાં બે ઈંચ જ્યારે ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, ગોતા, ઇન્કમટેકસ સહિતના વિસ્તારોમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, બાપુનગર રખીયાલ ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પણ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ ઉપરાંત ભાવનગર, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, મહીસાગર, ગાંધીનગર, પંચમહાલ જિલ્લાના ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી.