અદાણી ગ્રુપની નજર હવે જામનગર પર મંડાઈ છે. ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીએ ગઈકાલે જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતે શહેરમાં નવા પ્રોજેક્ટની અટકળોને વેગ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બે ચાર્ટર્ડ વિમાન મારફતે પ્રણવ અદાણી અને તેમની ટીમ જામનગર વિમાની મથકે ઉતરી હતી. ત્યાંથી તેઓ સીધા જ શરૂ સેક્શન રોડ સ્થિત પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. જામસાહેબ સાથેની મુલાકાતની કેટલીક તસ્વીરો વાયરલ થઈ છે, જોકે મુલાકાતની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
અદાણી ગ્રુપ જામનગરમાં બે દિશામાં આગળ વધી શકે છે. પહેલી શક્યતા બંદર વિકાસની છે. ગ્રુપ બેડી પોર્ટ, રોઝી પોર્ટ અથવા ઓલ્ડ બેડી પોર્ટમાંથી કોઈ એક બંદરને હસ્તગત કરી શકે છે. ખાસ કરીને જૂના બંદર પર ચાલી રહેલી તૈયારીઓ અને નવી રેલ્વે લાઈનની યોજના આ શક્યતાને વધુ મજબૂત બનાવે છે.
બીજી શક્યતા જામસાહેબની માલિકીની મોટી જમીનો પર નવા પ્રોજેક્ટની છે. જામનગરના બિઝનેસ વર્તુળોમાં આ અંગે ચર્ચાઓ જોર પકડી રહી છે. અદાણી ગ્રુપની કાર્યપદ્ધતિથી વાકેફ એક સ્થાનિક બિઝનેસમેને જણાવ્યું કે આગામી સમયમાં આ શક્યતાઓ વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી શકે છે.