યુપીના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 3 એસી સહિત 12 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. જેમાંથી 3 પલટી ગઈ છે. આ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા હતા અને 25 ઘાયલ થયા હતા. જો કે આ પહેલાં 5 મુસાફરોના મોતના સમાચાર સામે આવ્યા હતા. 2 મુસાફરોના પગ કપાઈ ગયા હતા. એસડીએમ માનકાપુરે આ વાતની પુષ્ટિ કરી છે. ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો એસી કોચના હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ મુસાફરોએ બારીના કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતા.
ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. SDRFની ટીમ સ્થળ પર છે. ટ્રેનની અંદર ફસાયેલા લોકોને બોગી કાપીને બચાવવામાં આવી રહ્યા છે. નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના CPRO પંકજ કુમારે જણાવ્યું કે, અકસ્માત પહેલાં લોકો પાઇલટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.
ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. એ ગુરુવારે બપોરે ઝિલાહી સ્ટેશન નજીક પલટી ગઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું- ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. માનકાપુર સ્ટેશન અહીંથી 5 કિમી દૂર છે.