રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાનો 181 મહિલા અભયમ પર કોલ આવેલ હતો કે મારા સાસરીવાળા મને ઘરમાં આવવાની મનાઈ કરે છે અને મારી બે નાની દીકરીઓનું મોઢું જોવા દેતા નથી માટે મદદની જરૂર છે.
181 ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ સહિતના પીડિત મહિલા સુધી પહોંચેલ અને જાણ્યું તો મહિલા બે દિવસથી તેમની સાસરીમાં જવાનો પ્રયત્ન કરતા હોય પરંતુ તેમની સાસરીવાળા ઘરમાં આવવાની મનાઈ કરતા હોય માટે પરિણીતાએ તેમની સાસરીથી નજીક તેમના ફઈનું ઘર હોય ત્યાં રોકાણ કર્યું હતું. મહિલાએ જણાવેલ કે તેઓ સાસરી પક્ષના માનસિક ત્રાસથી કંટાળી પાંચ દિવસ પહેલા પિયર જતા રહેલ હોય પરંતુ પરિણીતા તેમની બે નાની દીકરીઓને તેમની સાસરી પક્ષ પાસે છોડી ગયા હોય અને દીકરીઓ વગર રહી ના શકતા બે દિવસથી તેમની સાસરીમાં જવાનો પ્રયત્ન કરતા હોય પરંતુ આજ રોજ સહનશીલતાની હદ થતાં 181 અભયમનો સહારો લીધો.
ત્યાર બાદ 181 ટીમ દ્વારા મહિલાના સાસરીમાં સાસુ સસરા અને પતિનું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે, તેમના ઘરે તેમની કુળદેવીના નૈવેધ હોય જેની વિધિ ચાલુ હોય તે દરમિયાન તેમના વહુના પિતાનો ફોન આવતા તેમના વહુ આ વિધિ અધવચ્ચેથી છોડી તેમના માતા-પિતાના કહેવાથી પીયર જવા રવાના થયેલ આથી તેમના કુળદેવીનો અપમાન કર્યું હોય માટે તેઓ તેમના વહુ માતા-પિતાના કહેવાથી જતા રહેલ હોય આથી તેમના વહુના માતા પિતા અહીંયા આવી તેમની કુળદેવી પાસે માફી માંગે તો જ અમે અમારી વહુને ઘરમાં આવવા દેશું તે ઉપરાંત અમારી વહુએ અમારી કુળદેવી પાસે તેમના માતા પિતા પાસે ન જવાનું વચન બંધાવવું પડશે.