એઇમ્સમાં સિનિયર મહિલા તબીબના હેરેસમેન્ટના આક્ષેપો બાદ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા એડમિનિસ્ટ્રેશન ઓફિસર જયદેવસિંહ વાળાનો ઓર્ડર રિન્યૂ ન થતા અંતે તેમને છૂટા કરવા નિર્ણય કરાયો છે અને સંભવત: આજે અથવા કાલે તેમને ફરજ મુક્ત કરાતા તેઓ પોલિટેક્નિક કોલેજમાં તેમના મૂળ સ્થાને પરત ફરશે તેમ જાણવા મળે છે. બીજીબાજુ એઇમ્સ દ્વારા નવા એડમિનિસ્ટ્રેશન ઓફિસરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી દેવાયાનું પણ જાણવા મળ્યું છે.
એઇમ્સના સિનિયર મહિલા તબીબે એઇમ્સના ડાયરેક્ટર કર્નલ સીડીએસ કટોચ, ડીન ડો.સંજય ગુપ્તા, એચઓડી ડો.અશ્વિનકુમાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસર જયદેવસિંહ વાળા સામે ઉત્પીડન, લિંગ આધારિત ભેદભાવ અને ગુંડાગીરીના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરી હતી ત્યારબાદ આ પ્રકરણની તપાસ કલેક્ટરે પોલીસ કમિશનરને મોકલી આપી હતી, જે તપાસહજુ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.