પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો!

પાકિસ્તાનના સિંધના કાશમોરમાં રવિવારે સવારે એક હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મંદિર અને આસપાસના હિંદુ સમુદાયના ઘરો પર પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા.

પાકિસ્તાનમાં 48 કલાકમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે રાત્રે કરાચીમાં 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે માતાના મંદિર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તે સમયે આ વિસ્તારમાં વીજળી નહોતી.

હુમલા સમયે મંદિર બંધ હતું
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારના હુમલા વખતે મંદિર બંધ હતું, તેથી વધારે નુકસાન થયું નથી. હુમલાખોરોએ મંદિર પાસે રહેતા હિન્દુ સમુદાયના લોકોના ઘરો પર પણ હુમલો કર્યો હતો.

પ્રારંભિક તપાસ મુજબ હુમલાખોરો 8થી 9 લોકો હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર બાગડી સમુદાય દ્વારા આયોજિત ધાર્મિક સેવાઓ માટે મંદિર દર વર્ષે ખોલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *