દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ક્ષયમુક્ત ભારતનું સ્વપ્ન વાસ્તવિક બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વર્ષ 2018થી ‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષ 2025 પૂર્ણ થાય ત્યાં સુધીમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં TBના 781 દર્દીઓને છેલ્લા 6 મહિનામાં 34.83 લાખની સહાય આપવામાં આવી છે.
આ અભિયાન માત્ર ટી.બી. (ટ્યુબરક્લોસીસ)ને દૂર કરવા માટે નથી, પરંતુ ક્ષયના દર્દીઓને પોષણક્ષમ આહાર આપીને તેમને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન પણ છે. આ બાબતને ધ્યાને રાખીને નિક્ષય પોષણ સહાય યોજના અમલમાં મૂકાયેલી છે. જે ટી.બી.ના દર્દીઓને આર્થિક સહાય કરીને ઝડપથી સાજા કરવામાં મદદરૂપ બની રહી છે.
ભારત સરકાર દ્વારા ટી.બી. સામે ઝઝૂમી રહેલાં દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર મહિને રૂ.1000ની આર્થિક સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાય માત્ર નાણાકીય ટેકો નથી, પરંતુ દર્દીઓને પોષણયુક્ત આહાર મેળવવાનું જરૂરી સાધન પણ ગણાવી શકાય; જે દર્દીની શારીરિક ક્ષમતા વધારવામાં સહાયરૂપ બને છે. ટી.બી.ની સારવાર લાંબી અને થકવી દેનારી હોય છે. ત્યારે પૂરતાં પ્રમાણમાં પોષણ ના મળે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એવામાં નિક્ષય પોષણ યોજના, ઓછાં પોષણની નબળી કડીને મજબૂત બનાવે છે અને દર્દીઓને સુપોષિત કરીને ક્ષય સામે લડવા માટે તાકાત આપે છે.