હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી પાણીની માંગ વધી છે. સામાન્ય રીતે દરવર્ષે ઉનાળામાં પાણીની તંગી જોવા મળતી હોય છે. જોકે સૌની યોજના આવ્યા બાદ પાણીની ખાસ સમસ્યા શહેરમાં રહેતી નથી. આમ છતાં રાજકોટ શહેરમાં પાણીને લઈને કોઈ મુશ્કેલી થવાની કે પાણીની તંગી સર્જાવાની શક્યતા નહીં હોવાનું રાજકોટ શહેરનાં મેયરે પણ જણાવ્યું છે. તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રંગીલા રાજકોટને પાણીની મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી. ત્યારે આજે મેયર નયનાબેન પેઢડિયાએ પાણીની કોઈ સમસ્યા નહીં થવાની ખાતરી આપી છે.
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પાણી માટે મુખ્યત્વે આજી-ન્યારી ને ભાદર ડેમમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં સૌની યીજના મારફત આજી અને ન્યારી ડેમ સંપૂર્ણપણે ભરવામાં આવ્યા હોવાથી તેમાં આગામી 2 મહિના સુધી ચાલે તેટલું પાણી છે. એટલે પાણીની મુશ્કેલી થાય તેવી કોઈ શક્યતા નથી. બેડી સમ્પ હેઠળ આવતા વિસ્તરમાં પાણીની મુશ્કેલી ન પડે તે માટે મંત્રી કુંવરજી બાવળીયા સુધી તાજેતરમાં જ રજૂઆત કરવામાં આવી ચૂકી છે. જેમાં તેઓએ પણ સૌની યોજનાનું મેન્ટેનન્સ કરવામાં આવે ત્યારે પાણીની મુશ્કેલી નહીં થાય તેવી ખાતરી આપી હતી.