રાજકોટ-જામનગર રોડ પર રત્નપાઇ સિટીમાં રહેતા યશ ઉપેન્દ્રભાઈ કણસાગરા (ઉં.વ.26) નામના યુવાને ગત 28 ફેબ્રુઆરીના સાંજે 5 વાગ્યા આસપાસ SRP કેમ્પ પાસે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે 2 માર્ચે બપોરના સમયે તેનું મોત નીપજ્યુ હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યશ બે ભાઈમાં મોટો અને મુળ લાલપરનો વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રહેતો હતો અને છેલ્લા દોઢ વર્ષથી ઇમ્પોર્ટેડ વસ્તુનો ધંધો ચાલુ કર્યો હતો, પરંતુ ધંધામાં નુકસાની આવતા આર્થિક ભીંસના કારણે આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યશના ચાર મહિના પૂર્વે જ લગ્ન થયા હતા, હાલ યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
કુવાડવામાં વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત રાજકોટ નજીક કુવાડવા GIDCમાં એપલ બેસન ફેક્ટરી પાછળ રહેતાં દિલુભા નારૂભા જાડેજા (ઉં.વ.69)ને ઝેરી અસર થતા ગઈકાલે સાંજે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેમની પૂછપરછ કરતા તેમણે ઘઉંમાં રાખવાની વધુ દવા પી લીધાનું જાણવા મળ્યું હતું, જેથી તેમને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે સારવાર કારગત નીવડે એ પહેલા જ મોડીરાત્રે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે જાણ કુવાડવા પોલીસને કરવામાં આવી હતી. કુવાડવા પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસન પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર દિલુભા નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં એક દીકરો છે. ગઈકાલે બહારથી ઝેરી ટીકડી પીને ઘરે આવ્યા હતાં અને બાદમાં તેમને ઉલટીઓ થવા લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જો કે, આપઘાત અંગે કારણ જાણવા ન મળતા પોલીસ ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.